કેશોદ તાલુકાના શેરગઢ ગામથી ૫ કિ.મી. દૂર આવેલ પ્રસિધ્ધ સંત કેશવ કલીમલહારી બાપુના આશ્રમ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.આ રસ્તા પર સંતના આશ્રમ તેમજ મહિયા ક્ષત્રિય સમાજના દેવી નાગબાઇમા માતાજીનું મંદિર આવેલ હોવાથી શેરગઢ ગામના લોકો તેમજ આસપાસના ગામોના લોકોની સતત અવર - જવર રહેતી હોય છે. આ રસ્તા પર ચોમાસા દરમિયાન લોકોને ચાલતા જવા આવવા માટે પણ મુશ્કેલી હોવાથી ૮ કિ.મી. ફરીફરીને જવું પડે છે.
આ ઉપરાંત કલીમલહારી બાપુના આશ્રમમાં અવાર - નવાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. આગામી મહિનામાં આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞાનું મોટાપાયે આયોજન કરવામાં આવનાર છે. તેમજ નાગબાઇ માતાજીના મંદિર ખાતે આગામી દિવસોમાં સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજના સમૂહલગ્નનું આયોજન થનાર છે. આમ આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવા શેરગઢના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ છે.